તરણેતર : તરણેતર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે.તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતરના મેળા થી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતરનો મેળો : આ મેળો ગુજરાત તથા ભારત નો સૌથી પ્રખ્યાત મેળો છે, આ મેળો સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ તરણેતર નામના ગામમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતો મેળો છે.
આ મેળો ભાદરવા સુદ – ચોથ, પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ ભરાય છે .જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે એ સમયે વિદેશીઓ પણ આ મેળો જોવા આવે છે .
ત્રિનેત્રેશ્વર શબ્દ લોકબોલીમાં તરણેતર થઈ ગયો . તરણેતર એટલે લોકજીવનનો રંગ મેળો – ઉમંગભેળો .
તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાતો એક સૌથી મોટો અને આકર્ષક મેળો છે . એની વિશિષ્ટતા એ છે કે એમાં ગુજરાતમાંના લોક સમુદાયનું આદર્શ પ્રતિબિંબ જોવા મળે છે . એમાં ગુજરાતની કણબી , કાઠી , કોળી , ભરવાડ અને રબારી પ્રજા ઉપરાંત દેશ – વિદેશમાંથી પણ જિજ્ઞાસુઓ ખાસ હાજરી આપે છે .
આ પ્રજાના પરંપરાગત જાજરમાન જાડાં વસ્ત્રો અને ચાંદીના ચમકતા આભૂષણો તરણેતરના આ મેળાને ગુજરાતની લોકસંસ્કૃતિનું એક નમૂનારૂપ નજરાણું બનાવે છે .
તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજવી કરણસિંહજીએ એમની પુત્રી કરણબાની યાદમાં ઈ.સ .1902 માં બંધાવેલું હતું .
આ સ્થળને પુરાતત્વ વિભાગ તરફથી રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે .
રૂપાળાં છોગલાં ઉડાડતા , કેડિયાં ઘુમાવતા મુછાળા યુવાનો અને ભાતીગળ ચણિયાના ઘેર લહેરાવતી યુવતીઓ અહીં ગરબા ગાય છે , દાડિયા – રાસ પણ ચગાવે છે , પુરુષો છત્રીનૃત્ય કરે છે . અને સોરઠી યુવતીઓ પોતાના ભાવી જીવન સાથીની શોધમાં ફરે છે .
મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ મેળાની વિશિષ્ટતા છે . પૌરાણિક અને દંતકથા પ્રમાણે પાંડવપુત્ર અર્જુનને દ્રૌપદી એ જયાં વરમાળા પહેરાવી એ મત્સ્યવેધ અને સ્વયંવર આ સ્થળે જ યોજાયો હતો .
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે .












